તિબેટના રહસ્યવાદની કથા
લિપિ, ભાષા અને ગ્રંથ ભંડાર. અહીં આ બરફના સાગરમાં લામઓની વચ્ચે મારા વસવાટને લગભગ એક મહિનો થવા આવ્યો છે. અહીં વાર, તારિખ તિથિની બહુ ખબર રહેતી નથી. કેટલાક દિવસો તો એવા પણ હોય છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તની પણ ખબર રહેતી નથી. અમે જાણે સમયની બહાર નીકળી ગયા છીએ. મારા મિત્ર કુમારેપા તો મને તિબેટીઅન ભાષા શીખવે છે. તેમના શિક્ષણથી હું થોડા તિબેટીઅન શબ્દો બોલતો થઈ ગયો છું.
યુ જી ચે = તમારો આભાર
ઓમા = દૂધ
કંગરિમ્ પો છે = પવિત્ર કૈલાશ
કરા = સાકર
ખંગબા = ઘર
ખતક = સન્માનીય મહાનુભાવ ને મળતી વખતે અપાતો કાપડનો લાંબો ટુકડો
ગોમ્પા = બૌધ્ધ મઠ
ગ્ય-ગર = ભારત (સફેદ મેદાન)
ગ્ન-નક = ચીન (કાળુ મેદાન)
ગંગબા = હંસ
ચિમા-કરા = ખાંડ
ચોંગા = પૂર્ણિમા
છંગ = જવનો દારૂ
છાં = મીઠું
છૂરા = પનીર
છૂ = નદી
છેમે = ઘીના દીવા
છો = તળાવ
છીમો = સંન્યાસીની, ભિક્ષુણી, અની
છન = રાત્રિ
છરબા = વર્ષા
છુમર = ઘી
છોરતેન = સ્તુપ
જા = ચા
ટુલ્કુ લામા = અવતારી લામા
ટમો = ઠંડી
ડાબા = નવા સામાન્ય ભિક્ષુ, નવા સાધુ
થંકા = રેશમ પર ચિત્રપટ
નમકંગ = અમાસ
દિરિંગ = આજ
દંગ = આવતી કાલ
દાવા = માસ
પોમો = સ્ત્રી
નનિંગ = ગયા વર્ષે
ન્યિમા = સૂર્ય, દિવસ
પુરમ = ગોળ
ફગબે = લોટ
બોત = તિબેટ
મવંગ = માનસરોવર
મી = પુરુષ
લામા = વિદ્વાન, અનુભવી વરિષ્ઠ ભિક્ષુ
અની = છોમો, બૌધ્ધ સાધ્વી, ભિક્ષુણી
હવે મારા આ ભાષા શિક્ષણમાં એક નવું પરિબળ ઉમેરાયું છે. હવે અમારી આ સત્સંગ મંડળીમાં ત્રણ અની (છોમો-બૌધ્ધ સાધ્વીજી) પણ ઉમેરાયાં છે. તેમાંના એકને અંગ્રેજીનું પણ સારું જ્ઞાન છે. તેઓ પણ મને વિશેષતઃ વજ્રયાનનું ક્વચિત તિબેટીઅન ભાષાનું જ્ઞાન પણ આપે છે.
તિબેટીઅન મૂળાક્ષરો વ્યંજન
આ તિબેટ તો બરફની એક દુનિયા છે અને શિયાળામાં તો આ વિશેષતઃ બરફની બની જાય છે. જો પ્રતિકાર કરીએ તો આ બરફ, આ ઠંડી એક વિટંબણા, એક વેદના લાગે છે પરંતુ. જો વિધાયક દ્રષ્ટિથી જોઈએ તો આ બરફની દુનિયાને માણી શકાય છે, ઉજવી શકાય છે. વિટંબણા શારીરિક હોય ત્યારે પણ તે વિશેષતઃ માનસિક હોય છે. જો આપણે આ વિટંબણાના આ માનસિક પાસાને ખંખેરી શકીએ તો બિચારી આ શારીરિક વિટંબણા પણ સાવ નાની બની જાય છે. આ તૃતીય અની, જેઓ અંગ્રેજીના જાણકાર છે, તેમનું નામ તો છે- રોઝે-તાશી. પરંતુ આ નામ આપણા માટે થોંડુ અઘરું અને અજાણ્યું લાગે છે, તેથી મેં તેમનું નામ પાડ્યું છે- મીરાં !
” મીરાં ?” તેમણે પૂછ્યું “આ મીરાં કોણ છે અને તેનો અર્થ શો છે ?”
” મીરાં ભારતના એક મહાન સ્ત્રી છે, પરમ ભક્ત છે, મિહિર એટલે સૂર્ય. મિહિરા એટલે સૂર્યાદેવી. મિહિરાનું જ તત્ભવ રૂપ છે- મીરાં “
સૌએ મારી વાત સ્વીકારી લીધી. આ આપણા અંગેજી વિદ્દ અની રોઝે-તાશીમાંથી આપણા માટે ‘મીરાં’ બની ગયા છે.
છેલ્લા એક સપ્તાહથી અનરાધાર હિમ વર્ષા ચાલી રહી છે. આ નાનકડા ગોમ્પાના પ્રાંગણમાં પાંચ ફૂટ જેટલો બરફ ખડકાઈ ગયો છે. મને આ શુભ્ર ધવલ હિમશૈયા પર બેસવાની, ચાલવાની, દોડવાની બહુ ઈચ્છા થાય છે. પરંતુ આ અની મીરાં મને ફોસલાવી દે છે. ” ના સ્વામીજી ! આપ આ બરફમાં ન જશો.” આપનું શરીર ઠંડી સહન કરી શકે તેવું સમર્થ છે, તે વાત માન્ય છે પરંતુ છતાં આપનું શરીર ગરમ પ્રદેશનું છે. તે ઠંડી કદાચ સહન ન કરી શકે. આપ ભલે અહીંથી બરફના પેટ ભરીને દર્શન કરો પરંતુ બરફમાં બેસવા ન જશો ” આ વીશ વર્ષની કન્યા મને જાણે માતા બાળકને સમજાવે તેમ સમજાવે છે અને ક્વચિત આદેશ પણ આપિ દે છે. દિવસ દરમ્યાન અને ક્વચિત રાત્રે પણ, વિશેષતઃ ચાંદનીના પ્રકાશમાં હું આ બરફના દરિયાના પેટ ભરીને દર્શન કરું છું. ગોમ્પાની અગાશીમાં બેઠા બેઠા બરફના દર્શન કરતાં કરતાં આપણા મીરાંબાઈ ક્યારેક ક્યારેક મને તિબેટીઅન ભાષાના મૂળાક્ષરો શીખવે છે.
બૌધ્ધધર્મ ભારતમાંથી તિબેટ ગયો ત્યાર પહેલાં તિબેટીઅન ભાષા હતી પરંતુ ભાષાને કોઈ લીપિ હતી નહીં. લિ-પિ વિના ગ્રંથરચના થઈ શકે નહીં. ભારતમાં બૌધ્ધ ધર્મના હજારો ગ્રંથ ઉપલબ્ધ હતા. આ ગ્રંથોને તિબેટીઅન ભાષામાં અનુવાદ કરવાની જરૂર ઉભી થઈ અને જરૂરિયાત તો સંશોધનની જનની છે. તિબેટીઅન ભાષાની લિપિની શોધનો પણ એક રસિક ઇતિહાસ છે. જ્યારે તિબેટીઅન ભાષા માટે લિપિની આવશ્યકતા ઉભી થઇ ત્યારે તિબેટથી ‘થોન-મી-સંબોટ નામના એક સમર્થ ભાષાવિદ્દને ભારત મોકલવામાં આવ્યા. તેમણે સંસ્કૃત ભાષાનો અને લિપિનો અભ્યાસ કર્યો. તેને આધારે થોન-મી-સંબોટે તિબેટીઅન ભાષા માટે એક લિપિની રચના કરી. તેમણે એક મહાન કાર્ય કર્યું. કારણ કે આ લિપિની રચના દ્વારા ભારતના સંસ્કૃત ગ્રંથભંડારનો તિબેટીઅન ભાષામાં અનુવાદ કરીને ગ્રંથસ્થ કરવાનો માર્ગ ખુલી ગયો. આમ તિબેટ માટે બૌધ્ધ ધર્મના જ્ઞાન સાગરને તિબેટમાં લઈ જવાના અને પ્રતિષ્ઠિત કરવાના દ્વાર ખુલી ગયા. આ મહાન ઘટના સાતમી સતાબ્દિમાં બની. આ પ્રથમ દ્રષ્ટિએ નાની લાગતી ઘટનાથી તિબેટનો ઇતિહાસ બદલાઇ ગયો.
થોન-મી-સંબોટે રચેલી તિબેટીઅન મૂળાક્ષરોની વ્યવસ્થા અને લિપિ મહદ્ અંશે સંસ્કૃત ભાષા અને દેવનાગરી લિપિને અનુસરે છે. તિબેટીઅન લિપિની સ્થાપના કરનાર આ તોન-મી-સંબોટ મહાન ભાષાંતરકર્તા પણ ગણાય છે. કારણ કે તેમણે બૌધ્ધ ધર્મના અ-પરંપરાગત સંસ્કૃત ગ્રંથોના તિબેટીઅન ભાષામાં અનુવાદો તૈયાર કર્યા છે. તેમ કરીને તેમણે તિબેટના લોકો માટે બૌધ્ધજ્ઞાન ભંડારના દ્વાર ખુલ્લાં મુકી દીધા છે. લોકો આજે પણ થોન-મી-સંબોટને તિબેટીઅન લિપિના જનક તરીકે મહાન ભાષાંતર કાર તરીકે આદરપૂર્વક યાદ કરે છે. ભાષાંતરના આ મહાન કાર્યમાં થોન-મી-સંબોટ સાથે અન્ય અનેક તિબેટીઅન વિદ્વાનો પણ જોડાયા હતા. અને થોન-મી-સંબોટની સાથે જોડાઇને, તેમના માર્ગદર્શન પ્રમાણે બૌધ્ધ ધર્મના સંસ્કૃત ગ્રંથોના તિબેટીઅન ભાષામાં અનુવાદનું એક મહાન કાર્ય સંપન્ન થયું છે. આજે પણ એવું જોવા મળે છે કે ભારતમાં મૂળ સંસ્કૃત ગ્રંથો લુપ્ત થયા હોય અને તે ગ્રંથોના તિબેટીઅન અનુવાદો તિબેટમાં ઉપલબ્ધ છે. આવા અનેક ગ્રંથો તિબેટથી પાછા ભારત આવ્યા છે. અને અમુકના તિબેટીઅનમાંથી ફરીથી સંસ્કૃતમાં અનુવાદ થયા છે.
અમારો તિબેટીઅન ભાષાના પહેલાં ઘોરણનો વર્ગ આમ ચાલી રહ્યો છે. વર્ગમાં એક જ વિદ્યાર્થી છે અને એક જ શિક્ષિકા છે. અચાનક યથેચ્છ ટહેલતા ટહેલતા પ્રધાન લામા અમારી પાસે આવી ચડ્યા. અમે બંને ઉભા થઇ ગયાં. અમે બંનેએ તેમને વંદન કર્યા.
તેમણે સ્મિત પૂર્વક પૂછ્યું, “શું ચાલે છે ?”
મેં તેમને મારી નોટબુક બતાવી. તેમાં મેં તિબેટીઅન ભાષાના મૂળાક્ષરો લખ્યા હતા. મારા હાથે પ્રથમ વખત જ લખેલાં આ વાંકાચૂંકા મૂળાક્ષરો જોઇને તેમના ધીર ગંભીર નુખ પર સ્મિત પથરાઇ ગયું. પ્રાથમિક શાળાના પહેલાં ધોરણનો વિદ્યાર્થી આચાર્ય સાહેબ પાસે ઉભો રહે, તેમ હું ઉભો રહ્યો. તેમણે મારી સામે જોઈને કહ્યું, “તમને ખબર છે આ લિપિ કઇ લિપિનો આધાર લઈને બનાવી છે ?”
“હાજી, સંસ્કૃત ભાષાની દેવનાગરી લિપિની અસર આ લિપિ પર સ્પષ્ટ જોઇ શકાય છે ?”
“બરાબર છે !”
તેમણે મીરાંબાઈ તરફ જોઈને સમજાવ્યું
“મૂળાક્ષરો શીખવતાં પહેલાં પ્રારંભમાં જ તેમને મણિમંત્ર લખતાં શીખવવું જોઈએ. આ આપણી પરંપરા છે. તને ખબર નથી ?”
મીરાંબાઈ જાણે ભૂલ પકડાઈ ગઈ હોય તેમ છોભીલાં પડી ગયા.
તિબેટીઅન મૂળાક્ષરો સ્વર
“પહેલાં તેમને મણિમંત્ર લખતાં શીખવ અને પછી મૂળાક્ષરો શીખવજે !”
અમે બંને નીચે બેઠા, ગુરુજી પ્રધાન લામા વિદાય થયા. મીરાંબાઇએ મને તિબેટીઅન લિપિમાં લખતાં શીખવ્યું. “ૐ મણિ પદ્મે હુંમ્” આ રીતે આ મણિમંત્ર મેં મારી નોટબુકમાં તિબેટીઅન લિપિમાં પાંચ વાર લખ્યો. લખીને નોટબુક લઇને અમે બંને વડા ગુરુજી પાસે ગયા. મેં તેમને મારિ નોટબુક બતાવી. તિબેટીઅન લિપિમાં પાંચ વાર લખાયેલો મણિમંત્ર જોઇને, વાંચીને ગુરુજી પ્રસન્ન થઇ ગયા. પ્રસન્નતા કાંઇ અછતી રહે ! તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી, “હવે બરાબર !”
અમે તેમના ખંડમાંથી બહાર નીકળવા પગ ઉપાડ્યો, ત્યાંજ તેઓ બોલ્યા, “બેટા ! તેં તેમને આપણા તંજુર-કંજુર બતાવ્યા કે નહીં ?”
ફરી એક પકડાઇ જવાનો અને કાંઇક છોભીલા પડી જવાનો વારો મીરાંબાઇનો આવ્યો. તેઓ બોલ્યા, “ના ગુરુજી ! તે તો બાકી છે !”
“બતાવજે અને નિરાંતે બતાવજે”
મીરાંબાઇ મને ગોમ્પાના એક વિશાળખંડમાં લઇ ગયા આ ગ્રંથાલય ખંડ છે. લાકડાના કબાટોમાં પુસ્તકો અને હસ્તલિખિત પોથીઓ ઠાંસી ઠાંસીને ભરેલી છે. પહેલા તો મીરાંબાઇએ ચાવીનો નાનો કબાટ ખોલ્યો. ચાવીઓ રાખવાનો પણ કબાટ ! ચાવીઓ પણ તાળા-ચાવીમાં ! શંકાશીલતા ? ના ! ચોક્કસાઇ ! ચાવીઓના કબાટમાંથી એક ચાવી કાઢીને તેમણે એક કબાટ ખોલ્યો અને બોલ્યા,
“આ કંજુર”
“કંજુર એટલે શું ?”
“ભગવાન બુધ્ધની વાણીના ગ્રંથોનો તિબેટીઅન ભાષામાં અનુવાદ થયો છે. આ સમગ્ર ગ્રંથમાળાને કંજુર કહે છે. કંજુર ગ્રંથમાળામાં ૧૦૮ ગ્રંથો છે” આ આખો કબાટ કંજુર ગ્રંથમાળાના ૧૦૮ ગ્રંથોથી ભરેલો છે. અહીં આ ગ્રંથો તિબેટીઅન ભાષામાં જ છે. મને મીરાંએ બતાવ્યું કે આ સમગ્ર ગ્રંથમાળાનો ચાઇનીઝ અને અંગેજીમાં પણ અનુવાદ થયો છે. પરંતુ અહીં તો માત્ર તિબેટીઅન આવૃત્તિ જ છે. મેં થોડા ગ્રંથો હાથમાં લઇને જોયા. ભાવ પૂર્વક ! માત્ર જોવા માટે જ ! ભાષા તો સમજાય તેમ નથી, પરંતુ ભાવ તો અનુભવી શકાય ને ! આ બુધ્ધની, ભગવાન બુધ્ધની વાણી છે. મેં ગ્રંથો કબાટમાં તેમને સ્થાને મૂક્યા. મીરાંએ કબાટ બંધ કર્યો. હવે તેમણે બીજો કબાટ ખોલ્યો અને સાથે સાથે ત્રીજો કબાટ પણ ખોલ્યો.
કબાટ ખોલીને મીરાં બોલ્યા, “આ બંને કબાટમાં તંજુર છે”
“તંજુર એટલે ?”
“ભગવાન બુધ્ધ પછી ભારતમાં બૌધ્ધ ધર્મ અને દર્શન અનેક મહાન વિદ્વાનો થયા છે. તેમણે અપરંપાર ગ્રંથોની રચના કરી છે. તેમના ગ્રંથોના તિબેટીઅન ભાષામાં અનુવાદ થયા છે. આ ગ્રંથમાળા ના ગ્રંથોની સંખ્યા ૨૩૫ છે. આ ગ્રંથો તંજુર ગણાય છે. આ બંને કબાટોમાં અમે તંજુર ગ્રંથો મૂક્યા છે.” ફરી એકવાર મેં થોડા ગ્રંથો હાથમાં લીધા- ભાવ અને આદરપૂર્વક ! અને પુનઃ પોતાના સ્થાને મૂક્યા”
“ભગવાન બુધ્ધ પછીના બૌધ્ધધર્મના ભારતિય વિદ્વાનો કોણ કોણ ?”
“વિદ્વાનો અપરંપાર છે. બૌધ્ધધર્મમાં મહાન અધ્યાત્મ પુરુષો અને મહાન પંડિતોની નામાવલી ઘણી મોટી છે. પ્રધાનતઃ પદ્મસંભવ, શાંરિરક્ષિત, નાગાર્જુન અસંગ, વસુબંધ, બુધ્ધ ઘોષ, દિગ્નાગ, ધર્મ કીર્તિ આદિ છે.” કંજુર અને તંજુરના દર્શનનું અમારું કામ પુરું થયું. એટલે કબાટો બંધ કરીને અમે બહાર નીકળવા આગળ વધ્યા. બારંણામાં જ ઉભેલાં પ્રધાન લામાએ ફરી એક વાર મીરાંને પકડ્યા.
“તેં આમને ‘સુમ્બુમ’ બતાવ્યા કે નહીં ?”
“ના એ તો મને ખ્યાલ જ ન રહ્યો”
“બતાવ !” અમે ફરીથી ગ્રંથાલયમાં ગયા. ફરીથી ચાવીનો કબાટ અને ફરીથી બીજા અનેક કબાટો ખૂલ્યા. મીરાંબાઇ બોલ્યા, “આ સુમ્બુમ ગ્રંથમાળા છે.” “સુમ્બુમ એટલે ?” “તિબેટીઅન બૌધ્ધ વિદ્વાનોએ તિબેટીઅન ભાષામાં બૌધ્ધધર્મના જે ગ્રંથો લખ્યા, તેમનો પણ એક વિશાળ રાશિ છે. આ ગ્રંથોને સુમ્બુમ કહે છે.”
મેં સમજ્યા વિના ગ્રંથો માત્ર જોયા, પાના ઉથલાવ્યા. કોઇ ગ્રંથ સમજાય નહીં અને છતાં તેને અનુભવી શકાય તેમ ન બની શકે ? બની શકે ? બને છે ? અને બન્યું ! રાત્રે પથારીમાં સૂતા સૂતા હિમ સમુદ્રના બારીમાંથી દર્શન થાય છે. દર્શન કરતાં કરતાં વિચારુ છું. આટલા બરફની વચ્ચે આવા વિકટ સ્થાને અહીં આ કેવા ભલા માનવો ! કેટલા પ્રેમાળ ! કેટલા વિદ્વાન અને કેટલા અધ્યાત્મનિષ્ઠ ! ધર્મનિષ્ઠ ! (ક્રમશઃ)
– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૧૩-૧૧-૨૦૧૪
You must be logged in to post a comment.